Like food, like mind - જેવું અન્ન એવું મન
- akhandjyoti gujarati
- Jul 24, 2021
- 1 min read

એક મહાત્મા દરરોજ એક રાજાને ઉપનિષદ ભણાવવા માટે જતા હતા. તેમણે વેદાંતદર્શન વિશે જે જ્ઞાન તથા ઉપદેશ આપ્યો હતો એના કારણે રાજા રાજ્યનાં બધાં જ તણાવપૂર્ણ કાર્યો કરવા છતાં પણ હંમેશાં પ્રસન્ન રહેતા હતા, પરંતુ એક દિવસ તે મહાત્મા રાજાને મળવા માટે ગયા ત્યારે તેમને લાગ્યું કે રાજા કોઈક કારણના લીધે ખૂબ ચિંતામાં છે. તેનું કારણ પૂછતા રાજાએ કહ્યું કે મેં રાત્રે સ્વપ્રમાં જોયું કે મેં મારી માતાનો વધ કરી નાંખ્યો છે. ખરેખર તો હું મારી માતાને અત્યંત પ્રેમ કરું છું, એમ છતાં મારા મનમાં આવો કુવિચાર આવ્યો કેવી રીતે? આ કારણે હું ખૂબ પરેશાન છું. મહાત્માજીએ થોડીવાર વિચાર કર્યા પછી રાજાને કહ્યું કે રાજ! કાલે તમારું ભોજન કોણે રાંધ્યું હતું? રાજાએ પોતાના રસોઈયાને બોલાવ્યો. રસોઈયાએ બીતાં બીતાં જવાબ આપ્યો કે કાલે મારી તબિયત બગડી ગઈ હતી, તેથી બીજા એક માણસે ખાવાનું બનાવ્યું હતું. તેને બોલાવીને તપાસ કરવામાં આવી તો ખબર પડી કે તેને તેની માતાની હત્યાના કારણે જેલની સજા થઈ હતી.
મહાત્માજીએ કહ્યું કે આ રસોઈયાને માફ કરી દો. રાજ! સંસ્કારોનું નિર્માણ અન્નથી થાય છે. જેવું અન્ન એવું મન. દૂષિત સંસ્કારોવાળા ભોજનથી કુવિચારો પેદા થાય છે અને સાત્વિક તથા સંસ્કારયુક્ત ભોજનથી સવિચારો પેદા થાય છે. આથી મનુષ્ય હંમેશાં નીતિ તથા ઈમાનદારીથી કમાયેલું અન્ન તથા સુસંસ્કારી વ્યક્તિએ રાંધેલું ભોજન જ ખાવું જોઈએ.
Reference: યુગ શક્તિ ગાયત્રી, જુલાઈ 2021
Comments