Correct use of Money : ધનનો સાચો ઉપયોગ
- akhandjyoti gujarati
- Aug 21, 2021
- 1 min read

રાજા વૃષમિત્રને મળવા માટે ઋષિ પ્રકીર્ણ ગયા. રાજાએ ઋષિને પોતાનો રાજભંડાર બતાવ્યો. તેમના ખજાનામાં અઢળક હીરામોતી હતાં. ઋષિએ રાજાને પૂછ્યું કે મહારાજ! આ હીરાઝવેરાતથી આપને કેટલી આવક થાય છે? રાજાએ કહ્યું કે ઋષિવર! એમનાથી આવક તો થતી નથી, પરંતુ તેમને સાચવવા માટે ઊલટો ખર્ચ કરવો પડે છે. ઋષિ પ્રકીર્ણ રાજાને એક ગરીબ ખેડૂતની ઝૂંપડીમાં લઈ ગયા. ત્યાં રહેલી ઘંટી બતાવતાં કહ્યું કે મહારાજ! તમારા હીરામાણેક પણ પથ્થર છે અને આ ઘંટી પણ પથ્થરની છે, પરંતુ આ ઘંટી દરરોજ દળવામાં કામ લાગે છે. તેનાથી આખા ઘરનું પોષણ થાય છે. પોતાના લોભ અને અહંકારને પોષવા માટે ભેગા કરેલા હીરામાણેક તો રાજ્ય માટે ભારરૂપ છે, જ્યારે આ ઘંટી ખૂબ ઉપયોગી છે. જો તમારું ધન રાજ્યના ગરીબ લોકો માટે પુણ્યપરમાર્થમાં વપરાશે તો એનાથી તમને આશીર્વાદ અને યશ મળશે. જો ગરીબ અને દુખી લોકોના કલ્યાણ માટે તેને નહિ વાપરો તો તે તમારા પતનનું કારણ બનશે. રાજા ઋષિના કહેવાનો મર્મ સમજી ગયા, આથી તેમણે તે બધું જ ધન પરમાર્થમાં વાપરવાનો નિશ્ચય કર્યો.
Reference: યુગ શક્તિ ગાયત્રી, ઓગસ્ટ: 2021
Comments